સુવિચાર :- "વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સબંધ છે કેટલો? માછલીને પાણીના સબંધ જેટલો. - એમ.જે. ડેરવાળીયા

Tuesday 9 October 2012

saradar patel


૩૧ મી ઓક્ટોબરની સરદાર પટેલ જયંતિ નિમિત્તે તેમના ચરણોમાં નતમસ્તકે અર્પણ
          સરદાર વલ્લભભાઈ  પટેલ           આલેખન  -  મુકેશ ડેરવાળિયા
    ભારત ભોમની રક્ષા કાજે કોણ રે ઉઠશે ભાઈ આવી વેદનાના ભણકારા જયારે કાને સંભાળતા ત્યારે એક ભડવીર ભારતમાં ૩૧ મી ઓક્ટોબર ૧૮૭૫ ના રોજ બેઠો થયો અને તે બીજું કોઈ નહિ પરંતુ આપણો સરદાર, ખેડૂતોનો સરદાર અને આખા દેશનો તારણહાર સરદાર વલ્લભભાઈ પટેલ.
     માતા લાડબાઈની કૂખે જન્મેલા વલ્લભભાઈ પટેલને પિતા ઝવેરબાપાએ એવો તો કયો પાઠ ભણાવ્યો કે જેનાથી ભારતની જનતાએ આઝાદી મેળવવા માટેનું પયપાન કીધું.
     વલ્લભભાઈ એટલે બીજું કોઈ નહિ પરંતુ આત્મવિશ્વાસનો ઊંડો દરિયો. એકવાર પ્રતિજ્ઞા લીધી પછી ખલાસ. જ્યાં સુધી પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી તેની ઊંઘ પણ અધૂરી જ રહે. પ્રતિજ્ઞા લે એટલે એમના અંતર-આત્મામાંથી એક જ સૂર નીકળે કે-                            
                                                       અમે લીધી પ્રતિજ્ઞા પાળીશું રે,
ભલે કાયાના કટકા થાય.
ભલે વરસે વરસાદ મહા જુલ્મનો રે,
ભલે પછી થાવાનું હોય તે થાય.”
   વલ્લભભાઈ પટેલે લોકો પર એવા તો કયા કામણ કર્યા કે લોકો કહેવા લાગ્યા, “ બાપ....
                             તપાવે યા ડૂબાડે કે અમોને ભટ્ઠીમાં બાળે,                                     અમારે જીવવું મરવું, બસ વલ્લભની સાથે.”
    લોખંડી છાતી અને મરદનો બચ્ચો જયારે સત્યાગ્રહ લડ્યો, તે પછી ખેડા સત્યાગ્રહ હોય કે બારડોલી સત્યાગ્રહ હોય, ધરાસણા સત્યાગ્રહ હોય કે બીજો કોઈપણ આઝાદીનો પ્રસંગ, પણ ભાગ લે ત્યારે વલ્લભભાઈ વિશે એક જ નારો ગગનમાં ગૂંજતો-
આવે, આવે, મરદ આવે,
ખેતર છોડી ખેડૂત આવે,
આખો વીર સમાજ આવે,
પૂર્ણ સ્વરાજ લઈને આવે.”
    વલ્લભભાઈ પટેલ એટલે જાણે ગુજરાતનો ગીરનાર, એકલો અડિખમ ઉભો રહીને આખી અંગ્રેજ સત્તા સામે ટક્કર જીલનાર એવાને આપણે ગીરનાર”  ન કહીએ તો બીજું શું કહીએ? વલ્લભભાઈને જો ગીરનાર ગણીએ તો તેની ગર્જના કેસરી જેવી જ હોય અને માટે જ કહેવાય છે કે-
    કોની હાંકે મડદા ઉઠ્યા,કાયર કેસરી થઇ તાડૂક્યાં,
      કોની રાડે કપટી જૂઠ્ઠાં, જાલીમોના ગાત્ર વછૂટ્યા?
      ખેડૂતોના  તારણહાર  જય સરદાર જય સરદાર
   આજે પણ ખેડૂતોના સરદાર તરીકે ઓળખાતા વલ્લભભાઈને ગુજરાત રાજ્યે તેમનું નામ ગુજરાતના ઇતિહાસ જગતમાં અમર રાખવા માટે તેમનું વિશાળ સ્મારક સરદાર સરોવર પર બનાવવાનો નિર્ણય કર્યો છે.
    વલ્લભભાઈ પટેલનું અવસાન ૧૫ મી ડીસેમ્બર ૧૯૫૦ ના રોજ થયું. પરંતુ તેના આ સમાચાર સાંભળી કદાચ માં ભારતી પણ વેદના પામી હશે કે-
                  બેઠી પનોતી હાય દુર્દશા આખે દેશ,
             જ્યાં જોઉં ત્યાં સ્વાર્થ ભટકતો ભિન્ન ભિન્ન વેશ.” પણ મારા વહાલા લોક સમુદાય, વલ્લભભાઈનું  એક વાક્ય આપણે જીવનમાં ઉતારીશું તો હું માનીશ કે વલ્લભભાઈને સાચી શ્રદ્ધાંજલિ મળી ગઈ-
સૂતેલા જાગજો સિહો,મરેલા ઉઠજો મર્દો,
પકડજો સત્યના શસ્ત્રો , આપણા દેશને માટે.”

2 comments:

  1. Sir

    સંદેશ ખૂબ સરસ છે
    ખૂબ જ સુંદર પ્રયાસ..!
    ખૂબ લખો અને ગુજરાતી ભાષા નું ઋણ ચૂકવતા રહો..
    ખૂબ શુભેચ્છાઓ સાથે..

    ReplyDelete
  2. ખૂબ આગળ વધો

    ReplyDelete